પોરબંદર.તા.૨૩; પોરબંદર જિલ્લામાં આકસ્મિક અને સ્વયંભૂ રીતે યોજાતી સભા, સરઘસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે આગમચેતીના પગલા રૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ ની પેટા કલમ-૩ થી અન્વયે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તા.૨૫.૦૨.૨૦૨૬ થી તા.૧૦.૦3.૨૦૨૬ સુધી બંને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા મનાઇ ફરમાવવામાં આવી છે. આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી, સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો અને સરકારશ્રી તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહી.આ જાહેરનામાં અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઇને મદદ કરનાર ગુન્હો સાબિત થયે સદરહુ અધિનિયમની કલમ-૧૩૫ ની પેટા કલમ-૩ મુજબ રૂા.૨૦૦/- સુધીના દંડની શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યકિતને છ માસની સાદી કેદ અથવા રૂા.૨,૫૦૦/- સુધીના દંડ અથવા બંને શિક્ષા થઇ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતિ માટે કોઇપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઇ હુલ્લડ કરે કે બખેડો કરે તેવી વ્યકિતને એક વર્ષની કેદ અથવા રૂા.૫,૦૦૦/- (પાંચ હજાર) સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર ઠરશે.
#porbandar© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software